વડોદરા શહેરમાં Vishwamitri River ખાતે ચાલી રહેલી કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે. વિશ્વામિત્રી નદીમાં ગેબિયન વોલ (રક્ષણાત્મક દિવાલ) બનાવવાની કામગીરી દરમિયાન JCB મશીન નદીમાં ઉતારવામાં આવતા પર્યાવરણપ્રેમીઓએ ચિંતા વ્યક્ત કરી છે.
માહિતી મુજબ, ગત વર્ષે નદી પહોળી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જ્યારે આ વર્ષે ફરીથી ગેબિયન વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન JCB મશીન નદીના પાણીમાં ઉતારવામાં આવ્યું હતું, જેના કારણે નદીમાં વસવાટ કરતા જળચર જીવજંતુઓને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પર્યાવરણ કાર્યકરોનો આક્ષેપ છે કે છેલ્લા બે મહિનામાં ચાર મગરોના મોત થયા છે, જેને લઈને શંકા વધુ ગાઢ બની છે. તેઓએ જણાવ્યું હતું કે આ કામગીરી અંગે કોઈ NGO કે વન વિભાગને પૂર્વ જાણ કરવામાં આવી નહોતી.
ઘટનાની જાણ થતા પ્રાણી સુરક્ષા સમિતિના કાર્યકરોએ સ્થળ પર જઈ પૂછપરછ કરી હતી. JCB ચાલકે જણાવ્યું હતું કે તે ઉપરથી મળેલા આદેશ મુજબ કામ કરી રહ્યો છે, પરંતુ અધિકારી કોણ છે તેની જાણ નથી.
આ સમગ્ર મુદ્દે આજે કાર્યકરોએ Raopura સ્થિત વન વિભાગ ડિવિઝન ઓફિસ ખાતે લેખિત અરજી આપી તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
હાલમાં વન વિભાગ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગે સૌની નજર છે.

