વડોદરા શહેરમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા પ્રયાગરાજમાં શંકરાચાર્યના અપમાનના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ યોગી સરકાર સામે નારા લગાવ્યા હતા તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજીનામાની માંગ ઉઠાવી હતી.
પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રતીકાત્મક રીતે યોગી સરકારના નામ પર કાળી સ્યાહી લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જો કે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વગર જાહેર રસ્તા પર વિરોધ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી હતી.
જૂના ન્યાય મંદિર પાસેના મુખ્ય માર્ગ પર અચાનક એકત્રિત થઈ કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરાયા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ પડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કાર્યકર્તાઓ મુખ્ય રસ્તાઓ પર છુપાઈને અચાનક બહાર આવી વિરોધ કરી રહ્યા હતા, જેથી નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે તાત્કાલિક દખલગીરી કરી અને અંદાજે 12 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓને અટકાયત કરી તેમને અકોટા પોલીસ મથકે લઈ જવાયા હતા.
આ અંગે યુથ કોંગ્રેસ વડોદરાના પ્રમુખ પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે, “પ્રયાગરાજમાં શંકરાચાર્યના અપમાનની ઘટના સામે અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા અમને અટકાવવામાં આવ્યા.”
પોલીસ દ્વારા મામલે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

