વાઘોડિયા ભૂરી તલાવડી વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી ઘૂંટણસમા પાણીમાંથી અંતિમયાત્રા લઈ જવા મજબૂર બનેલા સ્થાનિકો પાલિકાનું પાણીના નિકાલ અંગે કોઈ આયોજન નહીં, લોકોમાં રોષ
વાઘોડિયામાં ભૂરી તલાવડી વિસતારમાં હજુ પણ પાછળના ભાગે વરસાદી પાણી હજુ ઓસર્યા નથી .રહેણાંક વિસ્તારોમાં હજુ વરસાદી પાણી ભરાયેલ જોવા મળી રહ્યાં છે. આ વિસ્તારમાંથી ઘૂંટણ સમા પાણીમાંથી અંતિમયાત્રા કાઢવા માટે સ્થાનિક રહીશો મજબૂર બન્યાં હતા. જેને લઈને દયનીય દ્રશ્યો ખડા થયા હતા. પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ અંગે કોઈ આયોજન કરાયું નથી. જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી સાથે રોષની લાગણી પ્રવર્તી હતી.
ભૂરી તલાવડી વિસ્તાર ગઈકાલે રવિવારે ભાઈલાલભાઈ નામના આધેડ પુરુષનું આકસ્મિક મોત થયું હતું. જેને લઈ પરિવારના લોકો ચિંતામાં મુકાયા હતા.વાઘોડિયા ભૂરી તલાવડી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં ઘૂંટણસમા પાણીમાંથી અંતિમયાત્રાને લઇ જવાઇ હતી.વરસાદે વિરામ લીધો છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી પાણી હજુએ વિસ્તારમાંથી ઓસર્યા નથી. વાઘોડિયા નગર પાલિકા દ્વારા પાણી નિકાલ માટે ગઈકાલે કામગીરી કરી હતી. છતાં પણ હજુ પણ પાણીનો નિકાલ થયો નથી.
હાલમાં પણ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. જેને લઈ સ્થાનિક રહીશોને આ પ્રકારની પરિસ્થિતિ વેઠવાનો વારો આવ્યો છે. પાણી ભરાઈ રહેવાને કારણે લોકો મચ્છરો અને જીવાતના ત્રાસથી પણ હેરાન પરેશાન થઈ ગયા છે.

