વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલું તંબોળી યુવક મંડળ દર વર્ષે ભવ્ય રીતે શ્રીજીની સ્થાપના કરે છે. આ વર્ષે પણ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે.
યુવક મંડળ દ્વારા દર વર્ષે વિવિધ અનોખી થીમ પર સજાવટ કરવામાં આવે છે. આ વર્ષે “ઓપરેશન સિંદૂર” થી પ્રેરિત વિશેષ ડેકોરેશન કરવામાં આવ્યું છે. જેમાં દેશપ્રેમની ઝલક, સૈનિકોની વીરતા અને દેશની રક્ષા માટે તત્પર સેનાનો સંદેશ દર્શાવવામાં આવ્યો છે.
સંપૂર્ણ પંડાલમાં આકર્ષક લાઈટિંગ, દેશભક્તિનું સંગીત અને સજાવટના દ્રશ્યો દ્વારા ભક્તોને અનોખો અનુભવ કરાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને યુવાનોમાં દેશભક્તિની લાગણી જગાડે તેવા દ્રશ્યોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
તંબોળી યુવક મંડળના કાર્યકરો જણાવે છે કે આ પ્રકારની થીમ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવાનો તથા ભક્તિ સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવાનો મુખ્ય હેતુ છે.
શ્રીજીના દરબારમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે અને “ઓપરેશન સિંદૂર” થી પ્રેરિત આ ડેકોરેશન સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

