વડોદરા: પાદરા તાલુકાના પાટોદ ગામે ખેતી કરતા પઢિયાર પીયુષકુમાર અને ઐયુબભાઈ સહિત તેમના પરિવારજનોને માથાભારે તત્વો દ્વારા જમીનના પાકને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાના તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે વડોદરા શહેરની જૂની કલેક્ટર કચેરી ખાતે એસપી અને આઈજી કચેરીમાં આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
અરજદારોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ મામલે પાદરાના પી.આઈ દ્વારા સમાધાન કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે, તેમજ નહીં માનવામાં આવે તો ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટનાઓને પગલે અરજદારો અને તેમના પરિવારજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.
અરજદારો દ્વારા એસપી અને આઈજીને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવા, દોષિત તત્વો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવા તેમજ પોતાને પૂરતી સુરક્ષા પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે.
અંતે અરજદારોએ આશા વ્યક્ત કરી છે કે જિલ્લા વહીવટીતંત્ર આ ગંભીર મુદ્દે તાત્કાલિક ધ્યાન આપીને તેમને ન્યાય અપાવશે.

