વડોદરા મહાનગર પાલિકાના 2026-27ના રિવાઈઝ બજેટને લઈને શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસે બજેટને “ઢાક કે તીન પાત” સમાન ગણાવી તેની કડક ટીકા કરી છે.
પૂર્વ વિપક્ષ નેતા અમી રાવતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે આ બજેટ માત્ર વચનોનું ખોખું છે અને તેમાં જમીન સ્તરે અમલ માટે કોઈ સ્પષ્ટ દિશા જોવા મળતી નથી. તેમણે આક્ષેપ કર્યો કે વિપક્ષને યોગ્ય ચર્ચાની તક આપ્યા વિના બજેટ એકતરફી રીતે પાસ કરવામાં આવ્યું છે, જે લોકશાહી પ્રક્રિયાને નબળી પાડે છે.
અમી રાવતના જણાવ્યા મુજબ, બજેટમાં વર્ષોથી ચાલતા વિકાસના જૂના મુદ્દાઓને ફરી રિપીટ કરવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિક કામ શૂન્ય છે. તેમણે વધુમાં કહ્યું કે અમદાવાદ અને સુરત કરતાં વધુ ખર્ચ થતો હોવા છતાં વડોદરા વિકાસના મુદ્દે પાછળ રહી રહ્યું છે, જે શહેરના સંચાલન પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.
કોંગ્રેસે દાવો કર્યો કે બજેટ પ્રક્રિયા દરમિયાન પાર્ટી દ્વારા આપવામાં આવેલા 400થી વધુ સૂચનોને અવગણવામાં આવ્યા છે અને આ બજેટ સંપૂર્ણપણે એકતરફી છે. સાથે જ તેમણે વિશ્વામિત્રી નદી આધારિત દીર્ઘકાલીન અને સ્થાયી વિકાસ યોજના અમલમાં મૂકવાની પણ માંગ કરી હતી.
કોંગ્રેસે ચેતવણી આપી છે કે શહેરના હિતના મુદ્દાઓને અવગણવામાં આવશે તો આગામી સમયમાં લોકશાહી રીતે વિરોધ વધુ તેજ બનાવવામાં આવશે.

