વડોદરા શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવાના નિર્ણયને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. આ મુદ્દે આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે પત્રકાર પરિષદ યોજી સત્તાધારી પક્ષ (ભાજપ) અને કોર્પોરેશનના વહીવટી તંત્ર સામે તીખા આક્ષેપો કર્યા હતા.
વડોદરા શહેર પ્રમુખે જણાવ્યું હતું કે સસ્પેન્ડ કરાયેલા કાઉન્સિલરોએ તાજેતરમાં સભામાં શહેરના વિકાસ કાર્યોમાં થતા ભ્રષ્ટાચાર, અનિયમિતતા અને સામાન્ય નાગરિકોને પડી રહેલી હાલાકી જેવા મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમના કહેવા મુજબ, આ મુદ્દાઓ ઉઠાવાતા શાસક પક્ષ ગભરાઈ ગયો અને રાજકીય દ્વેષ રાખીને તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે લોકશાહી વ્યવસ્થામાં વિરોધ પક્ષની અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે અત્યંત નિંદનીય છે. કોંગ્રેસ દ્વારા આ નિર્ણયનો લોકશાહી રીતે વિરોધ કરવામાં આવશે અને જરૂર પડે તો આગળના તબક્કે આંદોલન પણ હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી શહેર પ્રમુખે આપી હતી.

