અકોટા સ્ટેડિયમમાં નોર્થ ઈસ્ટના વિવિધ કલા નૃત્યોમાં અરૂણાચલનું ટેંગ કો ન્યોન, તાપુ, આસામનું બિહુ અને દાસોઅરી દેલાઈ નાચ, મણિપુરનું પંગ ઢોંગ ઢોલોક ચોલમ, મિઝોરમનું ચોંગ્લેઝવોન, વાંગલા, મેઘાલયનું કોચ, નાગાલેન્ડનું સંગતામ (માકુ હીનયાચી), સિંગઈ/યોક છમ, તેમાંગ સેલો, સિક્કિમનું ચુટકે, હોજાગીરી, ત્રિપુરાનું મમીતા અને સંગ્રેઈન નૃત્ય રજૂ કર્યા હતા. ગુજરાતના સુરેન્દ્રનગરનો રાસ, મહિસાગર ટ્રાઈબલ નૃત્ય, છોટાઉદેપુરનું રાઠવા, ડાંગનું ડાંગી, જોરાવરનગરનું હુડો, પોરબંદરના ઢાલ તલવાર અને મણિયારો, પોરબંદર ગાંધીનગરનો મિશ્ર રાસ, મોરબીના ગરબા, ભાલ વિસ્તારનું પઢાર મંજીરા નૃત્ય રજૂ કરી કલાકારોએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તા.6 થી 10 એપ્રિલ સુધી માધવપુરનો ભાતીગળ મેળો યોજાશે, જેમાં સાંસ્કૃતિક વારસો અને ધરોહરોને જોવા, જાણવા અને માણવાની તક મળશે. માધવપુર ઘેડનો મેળો એ ગુજરાતના પ્રખ્યાત મેળા પૈકી એક છે. ત્યારે વડોદરાવાસીઓ પણ રાજ્યની આગવી સાંસ્કૃતિક પરંપરાથી અવગત થાય એ માટે અકોટા સ્ટેડિયમ ખાતે આયોજીત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારોએ એક એકથી ચડિયાતી રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી.
વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત સહિત અન્ય આઠ રાજ્યના 400 થી વધુ કલાકારો દ્વારા વિવિધ પ્રસ્તુતિઓની રજૂઆત કરવામાં આવી હતી. દેશની અલગ-અલગ સંસ્કૃતિના કલાકારોએ સંયુક્ત રીતે ભવ્ય નૃત્ય કલાકૃતિઓ રજૂ કરી કલાનગરી વડોદરાવાસીઓના દિલ જીત્યા હતા.આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરવાની સાર્થક પહેલ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રામાયણ અને મહાભારતના અનેક પ્રસંગનો ઉલ્લેખ કરીને ભવ્ય ઈતિહાસ અને ભારતની દિવ્ય સંસ્કૃતિની રસપ્રદ વાતો કરી હતી.

