વડોદરાની રેલવે કોલોની વિસ્તારમાં એક પ્રેમસંબંધનો કરુણ અંત આવ્યો છે. 23 વર્ષીય યુવક સચિન રાઠવાનું 29 ડિસેમ્બરના રોજ થયેલું સંદિગ્ધ મોત હવે હત્યા હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ સચિનની ગળાફાંસો આપી હત્યા કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ સચિન તેની મંગેતર રેખા સાથે સગાઈ બાદ સાથે રહેતો હતો. આરોપ છે કે રેલવેમાં નોકરી કરતી યુવતી રેખાએ સચિનની દુપટ્ટાની મદદથી તેની હત્યા કરી હતી. ઘટના બાદ ત્રણ દિવસ સુધી આરોપી યુવતીએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉંડાણપૂર્વકની પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
સચિનના પિતાએ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકની હત્યાની પુષ્ટિ થતાં મકરપુરા પોલીસે રેખા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
પોલીસ દ્વારા હાલ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. પ્રેમસંબંધ અને ઘરેલુ વિવાદમાંથી આ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં શોક તથા આશ્ચર્યનો માહોલ જોવા મળી રહ્યો છે.

