વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પસાર થતી મહીસાગર નદીના મહીબ્રિજ પરથી એક યુવકે નદીમાં ઝંપલાવતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. કનોડા–પોઈચા ગામ પાસેથી પસાર થતા આ બ્રિજ પર ગઈકાલે સાંજે બનેલી ઘટનાને જોઈને પુલ પરથી પસાર થતા લોકોએ તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરી હતી.
નદીમાં પડનાર યુવકની ઓળખ સાવલી તાલુકાના મહુડીયાપુરા ગામના આશરે ૨૭ વર્ષીય જગદીશ પાટણવાડિયા તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ, વહીવટીતંત્ર તથા વડોદરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
રાત્રે અંધારું હોવાથી બચાવ અને શોધખોળની કામગીરી મર્યાદિત રહી હતી, જ્યારે આજે સવારે ફરીથી વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી તેવી માહિતી મળી છે. સ્થાનિક તરવૈયાઓ પણ હોડી સાથે યુવકને શોધવાના પ્રયાસોમાં જોડાયા છે.
નદી કિનારે યુવકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા, જેના કારણે માહોલ ગંભીર બની ગયો હતો. હાલ પણ યુવકની શોધખોળ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે મહીબ્રિજ પર અગાઉ પણ આત્મહત્યાના અનેક બનાવો બન્યા હોવાથી સ્થાનિક ધારાસભ્યના મધ્યસ્થતાથી વહીવટીતંત્ર દ્વારા પુલની પેરાફીટ પર લોખંડની સેફટી ગાર્ડ જાળી લગાવવામાં આવી હતી. તેમ છતાં આ ઘટનાએ ફરી એક વખત સુરક્ષા વ્યવસ્થાઓ અંગે સવાલો ઊભા કર્યા છે.

