આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને કોર્ટમાંથી નિર્દોષ છૂટકારો મળતા વડોદરા શહેરમાં પાર્ટી કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
શહેરના ડેરી ડેન સર્કલ પાસે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.
પાર્ટી કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે લીકર કેસ મામલે ઇડી અને સીબીઆઈ મારફતે રાજકીય દ્વેષભાવના હેઠળ ખોટા કેસો કરવામાં આવ્યા હતા. દિલ્હીની કોર્ટમાંથી નિર્દોષ ઠરતા પાર્ટી સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
શહેર પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને એકબીજાનું મોઢું મીઠું કરાવી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
આ પ્રસંગે કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે સત્યની જીત થઈ છે અને હવે પક્ષ વધુ મજબૂતી સાથે જનહિતના મુદ્દાઓ માટે કામ કરશે.

