વડોદરા: તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં મેળા પ્રશાસન દ્વારા જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ સાથે કરવામાં આવેલા કથિત દુર્વ્યવહાર અને અત્યાચારના વિરોધમાં હિન્દુ ધર્મગુરુઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સંદર્ભે વડોદરામાં એક પત્રકાર પરિષદ યોજીને પ્રશાસનની કામગીરીની આકરી ટીકા કરવામાં આવી હતી. પરંપરા પર તરાપ: ધર્મગુરુએ જણાવ્યું હતું કે, હજારો વર્ષોથી શંકરાચાર્યજી પાલખી પર બિરાજમાન થઈને નીકળે તેવી પરંપરા છે. આ પરંપરાનો વિરોધ અંગ્રેજો કે મુસ્લિમ શાસકોએ પણ ક્યારેય કર્યો નહોતો, પરંતુ વર્તમાન પ્રશાસન દ્વારા તેમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો છે. આ ઘટનાને સનાતન ધર્મનું અપમાન ગણાવતા, તેમણે દેશના 100 કરોડ હિન્દુઓ અને વિવિધ અખાડાના સાધુ-સંતોને આ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને જાગૃત થવા અપીલ કરી હતી. પ્રશાસન દ્વારા જે ‘વ્યવસ્થા’ના બહાના હેઠળ આ કૃત્ય કરવામાં આવ્યું છે તેને ફગાવતા તેમણે કહ્યું કે, જ્યારે સરકારો નહોતી ત્યારે પણ સાધુ-સંતો જ આ વ્યવસ્થાઓ જાળવતા હતા. આ માત્ર એક બહાનું છે, મુખ્ય વાત શંકરાચાર્યજીનું અપમાન છે.

