નસવાડી ખાતે નવરાત્રીના નવમા દિવસે ભાથીજી મહારાજની ભવ્ય શોભાયાત્રા ધામધૂમથી યોજાઈ હતી. યાત્રા નસવાડીના નામેન બજારથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પરથી ભવ્ય રીતે પસાર થઈ મંદિર ખાતે પહોંચી હતી.
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર નસવાડી શહેર ભક્તિમય રંગે રંગાઈ ગયું હતું. યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ ફૂલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તોના જયઘોષ, ભજન-કીર્તન, ઢોલ-નગારા અને આકર્ષક ધાર્મિક ઝાંખીઓએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉત્સાહથી ભરપૂર બનાવી દીધું હતું.
શહેરના વેપારીઓ અને રહેવાસીઓએ પણ ઉત્સાહપૂર્વક યાત્રાનું સ્વાગત કરીને પોતાની અખૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમજ ટ્રાફિકનું સુચારૂ નિયંત્રણ રાખવામાં આવ્યું હતું.
અંતે શોભાયાત્રા મંદિર ખાતે પહોંચી, જ્યાં વિધિવત પૂજન-અર્ચન સાથે કાર્યક્રમનો ભવ્ય સમાપન કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળ રીતે પૂર્ણ થયો હતો

