વડોદરા શહેરમાં રોડ પર ફરતા ઢોરો ફરી એક વાર જીવલેણ સાબિત થયા છે. ન્યૂ સમા રોડ પર આવેલી મંગલ દર્શન સોસાયટીમાં રહેતા સંદીપ નેગી (ઉંમર આશરે 30 વર્ષ)નો ગાય સાથે અથડાયા બાદ થયેલા અકસ્માતમાં દુર્ભાગ્યે મોત થયું હતું.
માહિતી મુજબ, શનિવાર રાત્રે સંદીપ પોતાના મિત્ર પ્રશાંત ઐયરને મળવા માટે બાઇક લઈને નીકળ્યા હતા. માર્ગમાં અચાનક ગાય આડે આવી જતા બાઇકનો કાબૂ ગુમાવી સંદીપ ડિવાઇડર સાથે જોરદાર ટકરાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ બનાવ અંગે પ્રશાંત ઐયરને રાત્રે લગભગ સવા ત્રણ વાગ્યે ફોન આવ્યો હતો કે મહેસાણાનગર નજીક અકસ્માત થયો છે. ત્યારબાદ તેમણે તાત્કાલિક ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મૂળ ઉત્તરાખંડના રહેવાસી સંદીપ નેગી વડોદરામાં પોતાની માતા અને પત્ની સાથે રહેતા હતા. છ મહિના પહેલા જ તેમની પત્નીએ બાળકને જન્મ આપ્યો હતો. હાલ તેમની માતા પેરાલીસીસ જેવી બીમારીને કારણે બેડ પર છે. દુર્ઘટનાના એક અઠવાડિયા પહેલા જ તેમની પત્ની બાળક સાથે ઉત્તરાખંડ ગઈ હતી. પરિવાર અને મિત્ર વર્તુળમાં આ દુર્ઘટનાએ શોકની લાગણી છવાઈ છે.
આ બનાવ પછી ઢોર મુદ્દે ફરી ચર્ચા તેજ થઈ છે. ભોર પાર્ટીના અધિકારી ડૉ. વિજય પંચાલએ જણાવ્યું કે, “આ મહિનામાં અત્યાર સુધીમાં ૩૦૦ જેટલા ઢોરો પકડાયા છે, જ્યારે આ વર્ષે ૩૦ જેટલા હેબ્રિકલ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. ૧૪૭ લોકો સામે FIR નોંધાઈ છે.”
તેમણે વધુમાં કહ્યું કે, શહેરમાં હાલ ૧૮ ટીમો કાર્યરત છે, પરંતુ ઢોર પાર્ટી પાસે પર્યાપ્ત વાહનોની અછત હોવાથી રાઉન્ડ-ધ-ક્લોક કામગીરી શક્ય નથી. જો કોર્પોરેશન તરફથી વધુ ગાડીઓ ફાળવવામાં આવે, તો કામ વધુ અસરકારક રીતે થઈ શકે છે.
આ બનાવ સાથે જ સોમા તળાવ નજીક પણ એક અન્ય અકસ્માત બન્યો હતો, જેમાં ગાય વચ્ચે આવતાં કાર ચાલકનો કાબૂ ગુમાયો હતો અને કાર લગભગ 15 ફૂટ જેટલો ગઢડાવ્યો હતો. ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો છે.
શહેરમાં વધતા ઢોરોના ત્રાસને કારણે નાગરિકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે, અને લોકો મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી કડક પગલાંની માંગ કરી રહ્યા છે જેથી આવનારા દિવસોમાં આવા જીવલેણ અકસ્માતો અટકાવી શકાય.

