નસવાડી ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને શિવ મંદિર આસપાસ વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નસવાડીના યુવા સરપંચ તેમજ વોર્ડ નંબર 12 ના સભ્ય દ્વારા JCB મશીનની મદદથી મંદિર નજીકનું મેદાન અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ બનાવવામાં આવ્યો.
દર વર્ષે મહાશિવરાત્રીના અવસરે નસવાડીમાં ભવ્ય મેળાનું આયોજન થતું હોય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેતા હોય છે. ભક્તોને સ્વચ્છ અને સુવિધાજનક વાતાવરણ મળી રહે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે આ સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને કન્યાદાનગર વિસ્તારમાં લાંબા સમયથી જમા થયેલો કચરો અને ગંદકી દૂર કરીને વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો.
આ કામગીરીને લઈ સ્થાનિક નાગરિકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. રહીશોએ સરપંચ અને વોર્ડ સભ્યની તાત્કાલિક અને પ્રશંસનીય કામગીરીની સરાહના કરી હતી. મહાશિવરાત્રી પૂર્વે કરવામાં આવેલ આ સ્વચ્છતા અભિયાનથી નગરમાં ભક્તિપૂર્ણ તેમજ સ્વચ્છતા પ્રત્યે જાગૃત વાતાવરણ જોવા મળી રહ્યું છે.

