ડભોઈ શહેર હંમેશા તેના ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ભવ્ય ઉજવણી માટે જાણીતું છે. હાલમાં હોળી-ધૂળેટીના પર્વને લઈને સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોમાંથી આવતી ‘ઘેર’ ઉઘરાવતી ટોળીઓએ નગરના માર્ગો પર આદિવાસી સંસ્કૃતિની ઝલક પીરસી છે.
પરંપરાગત વેશભૂષા અને અનોખું નૃત્ય
આદિવાસી પ્રજા માટે હોળીનું મહત્વ અનેકગણું છે. ડભોઈ તાલુકામાં નર્મદા વિસ્થાપિતોની આશરે ૨૨ જેટલી વસાહતો અને જિલ્લામાં ૧૫૦થી વધુ વસાહતો આવેલી હોવાથી અહીં આ તહેવારની વિશેષ રોનક જોવા મળે છે
વેશભૂષા: આદિવાસી ઘેરૈયાઓ કમરે મોટા ઘૂંઘરા બાંધે છે અને શરીર પર લાલ-સફેદ ટપકાં તથા અવનવા ચિત્રો ચીતરે છે શણગાર: માથે ખાસ પ્રકારના ફેટા (પાઘડી) બાંધી, તેના પર વાંસની ટોપી અને મોરના પીંછા લગાવી અનોખો શણગાર સજાવે છે.
વાદ્ય અને નૃત્ય: ઢોલના ધબકારે અને ઘૂંઘરાના રણકાર સાથે આ ટોળીઓ પરંપરાગત આદિવાસી નૃત્ય કરી લોકોનું મનોરંજન કરે છે અને ખુશી વ્યક્ત કરે છે પાંચ દિવસની કઠિન સાધના અને પરંપરા આદિવાસી સંસ્કૃતિમાં આ તહેવાર માત્ર રંગોનો ઉત્સવ નથી, પણ એક કઠિન પરંપરા પણ છે નિવાસ ત્યાગ: ઘેરૈયા બનતા લોકો હોળીથી રંગપંચમી સુધી એટલે કે સતત પાંચ દિવસ સુધી પોતાના ઘરે જતા નથી ત્યાગ અને સાદગી: આ પાંચ દિવસ દરમિયાન તેઓ સૂવા માટે ખાટલો કે ગોદડીનો ઉપયોગ કરતા નથી. તેઓ ખુલ્લામાં ભ્રમણ કરીને દિવસો પસાર કરે છે.
ઘેર ઉઘરાણી: નગરની દુકાનો અને ઘરે-ઘરે જઈને આ ટોળીઓ ઘેર (બક્ષિસ) ઉઘરાવે છે અને તેનાથી જ પોતાનું ગુજરાન ચલાવે છે.
પૂર્ણાહુતિ: રંગપંચમીના દિવસે પવિત્ર સ્નાન કરી, પરંપરાગત વેશભૂષાનો ત્યાગ કરી તેઓ પોતાના મૂળ વસ્ત્રો ધારણ કરે છે અને ઉત્સવની પૂર્ણાહુતિ કરે છે વતનની યાદ અને સાંસ્કૃતિક વારસો આધુનિક યુગમાં પણ આદિવાસી પરિવારો પોતાની પરંપરા ભૂલ્યા નથી. વતનથી દૂર વિસ્થાપિત થયા હોવા છતાં, આદિવાસી યુવાનો અને વડીલો પોતાની સંસ્કૃતિને જીવંત રાખવા માટે દર વર્ષે ડભોઈ નગરમાં આ રીતે ઉલ્લાસભેર જોડાય છે. ડભોઈના બજારો અત્યારે આ ઢોલના તાલે ગુંજી રહ્યા છે અને લોકો પણ આ લોકકલાને હોંશે-હોંશે વધાવી રહ્યા છે.

