વડોદરા શહેરમાં તિથિ અનુસાર મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને અખંડ સૌભાગ્યના પ્રતીક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી. આ પવિત્ર અવસરે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે એક પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું.
વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને મંડળી દ્વારા વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં અબોલા પક્ષીઓ માટે પાણીના બાઉલ (કુંડા) નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
મંડળી દ્વારા શિવાજી મહારાજના આદર્શોને અનુસરીને ઉત્સવની ઉજવણીને માત્ર સરઘસ કે ઔપચારિક કાર્યક્રમ સુધી મર્યાદિત ન રાખતા, જીવદયાના કાર્ય સાથે જોડીને સમાજમાં સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત દાંડિયા બજાર વિસ્તારમાં આજે ૫૦૦ થી વધુ પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળીના હોદ્દેદારો, સભ્યો તેમજ સ્થાનિક રહિશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ આ પહેલને બિરદાવી હતી અને વધતી ગરમીમાં પક્ષીઓને સરળતાથી પાણી મળી રહે તે હેતુથી આ બાઉલ વિતરણ કરવામાં આવ્યા હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

