છોટાઉદેપુર નગરપાલિકામાં આજે છૂટક શાકભાજી વેચતા ખેડૂતો અને નાના વેપારીઓએ પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો.
નગરપાલિકા સત્તાધીશો સામે રજૂઆત કરતા વેપારીઓએ જણાવ્યું કે નગરમાં હાલ જ્યાં શાકભાજીનું વેચાણ થાય છે તે જગ્યા ટ્રાફિક માટે અડચણરૂપ હોવાનું જણાતા પાલિકાએ તેમને હટાવી નવી જગ્યા ફાળવી છે. પરંતુ નવી જગ્યાએ પુરતી સુવિધાઓ અને વ્યવસ્થા ન હોવાને કારણે વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખેડૂતો અને નાના વેપારીઓએ માંગ કરી છે કે જ્યાં સુધી નવી જગ્યા પર યોગ્ય સુવિધા પૂરી ન થાય ત્યાં સુધી તેમને જૂની જગ્યાએ જ વેપાર કરવાની પરવાનગી આપવામાં આવે.
પાલિકા દ્વારા તેમની માંગ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી વેપારીઓએ પાલિકા કચેરીના પટાંગણમાં બેસીને વિરોધ ચાલુ રાખવાનો એલાન આપ્યો છે.
નગરમાં આ મુદ્દે હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે અને નગરપાલિકા તંત્ર સામે નારાજગી વ્યાપી છે.

