બોડેલી APMC માર્કેટ યાર્ડમાં કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે. બજારમાં કપાસ વેચવા આવેલા ખેડૂતોનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચ સતત વધતો જાય છે છતાં પાકના યોગ્ય ભાવ મળતા નથી, જેના કારણે ખેડૂત વર્ગ આર્થિક રીતે કચડાઈ રહ્યો છે.
ખેડૂતોએ જણાવ્યું કે ખાતર, દવા, મજૂરી અને ડીઝલ જેવા ખર્ચમાં ભારે વધારો થયો છે, જ્યારે તેની સામે કપાસનો હાલનો ભાવ પૂરતો નથી. તેઓએ ઉમેર્યું કે એક તરફ સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ ખેતીપાકના ભાવ હજુ પણ નીચા સ્તરે રહેતા હોવાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
માર્કેટ યાર્ડમાં ખેડૂતો દ્વારા નારાજગી વ્યક્ત કરી આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. જો યોગ્ય ભાવ નહીં મળે તો આવનારા દિવસોમાં ઉગ્ર પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે અને ખેડૂતો સરકાર તેમજ સંબંધિત વિભાગો પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી રહ્યા છે.

