મહાશિવરાત્રી પર્વના પાવન અવસરે શહેરના પ્રદર્શન મેદાન ખાતે સ્વદેશી હાટ પ્રદર્શન સહ વેચાણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ હાટ પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી નરેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખે દંડક બાલકૃષ્ણ શુક્લા સહિત ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા પ્રદર્શનની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
પ્રદર્શનમાં સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને ગ્રામોદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો દ્વારા તૈયાર કરાયેલા ખાદી, હેન્ડીક્રાફ્ટ, હસ્તકલા ઉત્પાદનો તેમજ વિવિધ સ્વદેશી વસ્તુઓ વેચાણ માટે મુકવામાં આવી હતી. મહાશિવરાત્રીના અવસરે મોટી સંખ્યામાં નાગરિકોએ પ્રદર્શનની મુલાકાત લઈ ખરીદી કરી અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપ્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આવા પ્રદર્શનોથી સ્થાનિક કારીગરોને યોગ્ય બજાર મળી રહે છે અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન મળે છે. આ પ્રકારના આયોજનો ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા અને ઉજવણીમય વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

