દેશભરમાં આસો માસની નવરાત્રી દરમિયાન માં દુર્ગાની આરાધના કરવામાં આવે છે. દેશના દરેક વિસ્તારમાં તેને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતના પાંચ રાજ્યો તામિલનાડુ, કેરલા, કર્ણાટક, તેલંગાના તથા આંધ્રપ્રદેશ વિસ્તારમાં માં અંબાની પૂજા અર્ચના ગોલુના નામથી ઓળખવામાં આવે છે. ઉત્સવની શરૂઆત ભાદ્રપદના અમાસના દિવસે થી શરૂ કરી દશેરા સુધી કરવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન દરેક દક્ષિણ ભારતીય સમાજના લોકો પોતાના ઘરમાં સનાતન ધર્મના દરેક દેવોની મૂર્તિઓ સાથે દસે દસ દિવસ સવાર સાંજ પૂજા અર્ચના કરી ઉજવે છે. આ ઉત્સવમાં સ્ત્રીઓ તથા કુવારીકાઓને ઘરે આમંત્રણ આપી તેમની પૂજા કરી તેઓને સૌભાગ્યની વસ્તુઓ તથા ભેટ વસ્તુ આપવામાં આવે છે. આમ દસ દિવસ સુધી માં અંબાની આરાધના કરી પૂજા અર્ચના કરી ભક્તિ ભાવથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.

