વડોદરા શહેરના ચાંપાનેર ગેટ પાસે આવેલ બાદશાહ બાવા દરગાહ કોઈપણ રીતે દબાણમાં આવતી ન હોવાનું જણાવી મ્યુનિસિપલ કમિશનર સ્થળ મુલાકાત કરે તેવી માગણી સાથે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને મળી રજૂઆત કરી હતી.
હાલમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક દબાણો જે નડતરરૂપ હોય તેનો સર્વે કરાવી નોટિસ પાઠવવામાં આવી છે.અને આવા ધાર્મિક દબાણો સ્વેચ્છાએ ખસેડવા પાલિકા તરફથી જણાવવામાં આવ્યું છે. ત્યારે વડોદરા શહેરના ચાંપાનેર ગેટ પાસે આવેલ બાદશાહ બાવા દરગાહ ને પણ નોટિસ આપવામાં આવી છે. ત્યારે મુસ્લિમ અગ્રણીઓ આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં તેમણે જણાવ્યું હતું કે સદર દરગાહ ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે. જે વર્ષો જૂની છે. આ દરગાહ કોઈને પણ નડતરરૂપ થાય તેમ નથી, અને કોઈપણ જાતનો દબાણ દરગાહ તથા દરગાહ ના વહીવટકર્તા ઓ એ કરેલ નથી. દરગાહ બિલકુલ ડીવાઈડર ની સાઈઝમાં છે. અને આજ સુધી અકસ્માત નો કોઈ બનાવ ત્યાં બનેલ નથી. જેથી કમિશનરને રજૂઆત કરાઈ હતી કે સમગ્ર મુસ્લિમ સમાજની આસ્થા ને ધ્યાનમાં રાખીને આપ સ્થળ મુલાકાત કરો જેથી આપને પણ જાણ થાય કે આ દરગાહ બિલકુલ દબાણમાં નથી.

