વડોદરા શહેરમાં શ્રી રામનવમીના પાવન પર્વે ગૌરક્ષક સેવા સમિતિ દ્વારા સતત ૧૦મા વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રણમુક્તેશ્વર મહાદેવના પ્રાંગણથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા તાડફળીયા ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી.
આ વર્ષે શોભાયાત્રામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની થીમ રાખવામાં આવી હતી, જેના કારણે યાત્રા વધુ આકર્ષક બની હતી. યાત્રામાં ભગવાન શ્રીરામ અને લક્ષ્મણના વેશમાં સજ્જ બાળકો, હનુમાનજી તથા વાનરસેનાની ઝાંખીઓએ સૌનું મન મોહી લીધું હતું.
લહેરીપુરા વિસ્તારમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રીરામની પાલખીના દર્શન કરી ભક્તોએ આધ્યાત્મિક આનંદ અને ધન્યતા અનુભવી હતી.
આ સમગ્ર શોભાયાત્રામાં શહેરભરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

