શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી પર શહેરના સલાટવાડાથી આન-બાન-શાન સાથે પ્રસ્થાન કરાવાયેલી શોભાયાત્રામાં હજારો નગરજનો જોડાયા હતા. જેમાં, ડી.જે, ગંધર્વ ઢોલ, અશ્વસવારો, શણગારેલી બગ્ગીઓ અને વાહનોએ રાજમાર્ગ પર દેશદાઝ સાથે કેસરિયો માહોલ સર્જ્યો હતો.
શહેરના સલાટવાડાથી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથે ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરાવાયેલી શોભાયાત્રાને પૂર્વ મેયર રણજિત ચવાણના હસ્તે ફ્લેગ ઓફ કરાયો હતો. શોભાયાત્રામાં પારંપારિક પરિધાનો અને કેસરી સાફા સાથે યુવાન-યુવતીઓ જોડાયા હતા બાળકીઓ-યુવાનો-યુવતીઓ જોડાયા હતા. શૌર્યના પ્રતિકરૂપે બાળકીએ હાથમાં તલવાર ધારણ કરી હતી. શોભાયાત્રાનું ગુલાબની પાંદડીઓ થકી ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. કેસરિયો લહેરાવતા યૌવનધને દેશભક્તિના ગીતોના તાલે નૃત્ય કરી દેશદાઝના અનોખા દર્શન કરાવ્યા હતા. શોભાયાત્રાના પ્રારંભે રણજિત ચવાણ, ચન્દ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થુભાઇ), બાળુ સુર્વે, મનિષ પગાર, શ્વેતા ઉત્તેકર, રવિ દેવરે, શનિ પવાર સહિત વિવિધક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નિર્ધારિત રૂટ પરથી આગળ વધી શોભાયાત્રા રાતે બરાનપુરા શિવાજી ચોક પહોંચી સંપન્ન થઇ હતી

