વડોદરા તાંદલજા વિસ્તારમાં પત્નીને દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે. પતિ અને તેના પરિવારજનોએ હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
તાંદલજાના એકતાનગર ખાતે રહેતી તસ્લીમાબાનું તા.છઠ્ઠીએ રાત્રે મોત નીપજતા તેના ભાઈ મોસીન શેખને ગળાના ભાગે નિશાન જોઈ શંકા થઈ હતી. જેથી તેણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. સાસરિયાંઓ હાર્ટ એટેકથી મોતની હોવાનું કહેતા હતા પરંતુ મરનાર મહિલાના પરિવારજનોએ અત્યારની આશંકા વ્યક્ત કરતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જે દરમિયાન મૃતક મહિલાના ગળાના ભાગે ફાંસો આપવાથી મોત નીપજ્યું હોવાનું જણાઈ આવતાં જે.પી રોડ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે મહિલાના પતિ જાવેદ વાહીદભાઈ મન્સૂરીની આકરી પૂછપરછ કરતા તે પડી ભાગ્યો હતો અને પત્નીના ચારિત્ર ઉપર આક્ષેપ કરી બપોરના સમયે દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કર્યાની કબુલાત કરી હતી. પતિએ પત્નીના દુપટ્ટાને ગળે વીંટ્યા બાદ બીજા હાથથી મોઢે ઓશીકું દબાવ્યું હતું અને દસ મિનિટ સુધી દુપટ્ટો ખેંચી રાખ્યો હતો. જેથી પત્નીનું મોત નીપજયું હતું.

