વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી આશરે 35 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે. વડોદરા મહાનગર સેવાસદનની દબાણ શાખા દ્વારા 20 તારીખ સુધી મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવતા વિસ્તારમાં રહેતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
રહીશોએ કલેક્ટરને આવેદન આપી જણાવ્યું હતું કે અચાનક મકાન તોડવાની નોટિસ આપવામાં આવતા તેઓ ક્યાં જાય તેવી ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આવનારા દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે, ઘણા લોકો બીમાર છે તેમજ કેટલાક પરિવારોમાં પ્રસૂતિ થવાની હોવાથી આવી પરિસ્થિતિમાં મકાન તોડવાની કાર્યવાહી કરવામાં આવે તો અનેક પરિવારો ઘરવિહોણા બની જશે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
આ દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરતા નાના બાળકો પણ બેનરો લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. બાળકો દ્વારા “અમને ઘર આપો, અમારું ઘર તોડતા નહીં” જેવા સૂત્રો સાથે રજૂઆત કરવામાં આવી હતી. રહીશોએ પ્રશાસનને વિનંતી કરી હતી કે તેમને થોડો સમય આપવામાં આવે જેથી યોગ્ય વિકલ્પી વ્યવસ્થા કરી શકાય.

