વડોદરા સહિત દેશભરમાં હાલ રંગેચંગે ગણોશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિતેલા સાડા ત્રણ વર્ષથી જરૂરીયાતમંદ માટે સેવાની અવિરત ધુણી ધખાવતી શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગણેશજીના અતિપ્રિયા એવા લાડુનો ભોગ 33 કોટી દેવી-દેવતાઓનો જેમનામાં વાસ છે તેવા ગૌ માતાને અર્પણ કર્યો છે. સાથે જ ગરમાગરમ રોટલીઓ પણ ગૌ માતાઓને જમાડવામાં આવી છે. આમ, ગણોશોત્સવ પર્વને ગૌ સેવા સાથે જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે. સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું છે, શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી વિવિધ સેવાકાર્યોમાં જોડાયેલી છે. અમે ફૂટપાથ પર જીવન વ્યતિત કરવા મજબુર નિસહાય વૃદ્ધોને સાડા ત્રણ વર્ષથી નિયમીત સ્વાદિષ્ટ ભોજનસેવાઓ આપી રહ્યા છે. ત્યારે તેમની સાથે હવે સંસ્થા દ્વારા ગૌ સેવા માટેના સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે અત્યાર સુધી અમે હજારો કિલો ફળો, રોટલી, લીલુ ઘાસ, કેરીનો રસ વગેરે પાંજરાપોળમાં આશરો લેતી ગૌ માતાને અર્પણ કર્યું છે. હાલમાં ગણેશોત્સવ ચાલતો હોવાથી અમે ગણેશજીના અતિપ્રિય એવા લાડુનો ભોગ ગૌ માતાઓને અર્પણ કર્યો છે.


