વડોદરા શહેર તથા જિલ્લામાં રહેતા અનુસૂચિત જાતિ (વાલ્મિકી) સમાજના લોકો માટે સામાજિક અને શૈક્ષણિક હેતુસર યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ સાથે સિદ્ધાર્થ સામાજિક અને શૈક્ષણિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સિદ્ધાર્થ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મગન સોલંકીની આગેવાની હેઠળ ટ્રસ્ટના સભ્યો વડોદરા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વડોદરા શહેર, જિલ્લા તથા તાલુકામાં અનુસૂચિત જાતિ (વાલ્મિકી) સમાજની અંદાજે અઢીથી ત્રણ લાખ જેટલી વસ્તી હોવા છતાં સમાજના લોકો માટે સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક કાર્યક્રમો યોજવા માટે કોઈ હોલ કે વાડી ઉપલબ્ધ નથી.
ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ કારણે સમાજના લોકોને વિવિધ કાર્યક્રમોના આયોજન સમયે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી વહેલી તકે યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ ટ્રસ્ટ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ કરવામાં આવી છે.
હાલ જિલ્લા વહીવટીતંત્ર તરફથી આ બાબતે શું નિર્ણય લેવાશે તે અંગે સમાજના લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

