છોટાઉદેપુરના જંગલોમાં થતા સીતાફળ આદિવાસીઓ માટે રોજગારીનું માધ્યમ બન્યા સ્થાનિક ભાષામાં અનુરા તરીકે ઓળખાતા સીતાફળ સંપૂર્ણ ઓર્ગેનિક ફળ હોઇ એની માંગ ખૂબ જ રહેતી હોય છે.
સમૃદ્ધ વન્ય સંપદાથી સંપન્ન છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાં કુદરતી રીતે જ ઉગી નીકળતા સીતાફળના વૃક્ષો આ જિલ્લાના આદિવાસી સમાજ માટે પુરક રોજગારી આપી રહ્યા છે. અનેક ઇમારતી વૃક્ષો, ઔષધિય વનસ્પતિ, ચારોળી સહિત સીતાફળના ઝાડો મોટી સંખ્યામાં જોવા મળે છે.
છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, કવાંટ અને નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલા જંગલોમાં કુદરતી રીતે જ સીતાફળના ઝાડો ઉગી નિકળે છે. પોતાની માલિકીના જમીનમાં ઉગતા ઝાડો પરથી માલિક પોતે જ ફળોનું વેચાણ કરે છે. જયારે જંગલમાં કે પંચાયતની જમીનમાં રહેલા ઝાડોને ગામની સહિયારી મિલકત ગણવામાં આવે છે. અહીંના આદિવાસી સમાજના લોકો સવારની પહોરમાં જંગલમાં જઇ સીતાફળનો પાક ઉતારી એક જગ્યા પર એકત્ર કરે છે. જયાં સીતાફળની છટણી કરી ક્રેટ તેમજ બોક્ષમાં પેકીંગ કરી વાહનોમાં લોડ કરવામાં આવે છે. અહીંના સીતાફળ અમદાવાદ, બરોડા, ભરૂચ, સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મોકલવામાં આવે છે. કુરદતી રીતે જ ઉગી નિકળતા આ ઝાડોના ઉછેર માટે કોઇ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. કુદરતી રીતે જ ઉછરતા આ ઝાડો પર થતાં ફળો સંપૂર્ણ ઓર્ગેનિક હોઇ તેની ખૂબ જ માંગ રહેતી હોવાનું જાણકારોનું કહેવું છે. ઓર્ગેનિક હોવાને કારણે આ ફળો ખાવામાં ખૂબ જ મીઠા હોય છે.
સીતાફળના ઝાડના ઔષધિય ગુણોને કારણે પણ અહીંના લોકોમાં તેનું અનેરૂં મહત્વ છે. અહીંના લોકો તેમના જાનવરોને જો કોઇ ઘા વાગે કે ગાંઠ ગુમડું થાય તો સીતાફળના પાન અને બીને વાટી તેનો લેપ કરે છે. માણસને ઘા થાય કે ગોળ ગુમડું થાય તો સીતાફળના કાચા ફળને ઘસીને તેનો લેપ કરે છે.

