વડોદરા શહેરના કૈલાશ પાર્ટી પ્લોટ નજીક આવેલા અમરદીપ બંગલોઝમાં તસ્કરો દ્વારા બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઊભા થયા છે.
માહિતી મુજબ, રહેવાસી ગત 30 જાન્યુઆરીના રોજ વતન ગયા હતા ત્યારે તસ્કરોએ મકાન નંબર F-85ના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરમાંથી સોનાં-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય કીમતી ચીજવસ્તુઓ લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ જાણવા મળે છે.
ભોગ બનનારના જણાવ્યા અનુસાર, ઘટનાના તરત બાદ જ પોલીસમાં ફરિયાદ (FIR) નોંધાવવામાં આવી હતી, છતાં 12 દિવસ સુધી તપાસમાં કોઈ ખાસ પ્રગતિ ન થતાં રહીશો નિરાશ થયા હતા. છેક 12 દિવસ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને સોસાયટી ખાતે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે સોસાયટીમાં એક પછી એક ત્રણ વખત ચોરીની ઘટનાઓ બની ચૂકી છે, તેમ છતાં તસ્કરોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી અને તેઓ બિન્દાસ્ત રીતે ચોરી કરી રહ્યા છે. રહીશો દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.
રહેવાસીઓએ જણાવ્યું કે પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં ચોરોને કાબૂમાં લેવામાં સફળતા મળી નથી, જેના કારણે લોકોમાં અસુરક્ષાની લાગણી વધતી જાય છે. સાથે જ સ્થાનિક લોકોએ વડોદરા પોલીસ કમિશનરને તસ્કરોને ઝડપીને વિસ્તારમાં સુરક્ષા વધારવા માટે કડક પગલાં લેવા વિનંતી કરી છે.

