World Sleep Dayના અવસરે ઊંઘ સંબંધિત આરોગ્ય મુદ્દાઓ અંગે નિષ્ણાતોએ મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. આજકાલ ભાગદોડભરી જીવનશૈલીમાં ઊંઘની સમસ્યાઓ સામાન્ય બની રહી છે, પરંતુ રાત્રે વધુ નસકોરાં આવવું અથવા ઊંઘ દરમિયાન શ્વાસ રૂંધાવું માત્ર થાકનો મુદ્દો નહીં પરંતુ ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે.
SSG Hospital Vadodaraના ENT વિભાગના વડા ડૉ. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે સ્લીપ એપ્નિયા નામની બીમારીમાં ઊંઘ દરમિયાન વારંવાર શ્વાસ લેવો બંધ થઈ જાય છે અને ફરી શરૂ થાય છે. જેના કારણે શરીરમાં ઓક્સિજનનું લેવલ ઘટી જાય છે. આ સ્થિતિ લાંબા ગાળે હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને અન્ય ગંભીર સમસ્યાઓનું જોખમ વધારી શકે છે.
ડૉ. ગુપ્તાના જણાવ્યા મુજબ સ્લીપ એપ્નિયાનાં સામાન્ય લક્ષણોમાં રાત્રે નસકોરાં આવવું, દિવસ દરમિયાન ઊંઘ આવવી, ચીડિયાપણું, બ્લડ પ્રેશર વધવું અને હૃદયરોગનું જોખમ વધવું સામેલ છે. આ સમસ્યા સ્ત્રી અને પુરુષ બંનેમાં જોવા મળી રહી છે.
નિષ્ણાતો અનુસાર આરોગ્ય માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે ૧૮થી ૬૯ વર્ષની વયના લોકો માટે ઓછામાં ઓછા ૭ કલાકથી વધુ ઊંઘ જરૂરી છે, જ્યારે ૬૦ વર્ષથી વધુ વયના લોકો માટે ૭થી ૮ કલાક ઊંઘ લેવી જરૂરી માનવામાં આવે છે. ૧૩થી ૧૮ વર્ષની વયે ૮થી ૧૦ કલાક અને ૬થી ૧૨ વર્ષની વયના બાળકો માટે ૯થી ૧૨ કલાક ઊંઘ જરૂરી ગણાય છે.
ડૉક્ટરોએ સલાહ આપી છે કે જો કોઈ વ્યક્તિને નસકોરાં, ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ અથવા થાક જેવી સમસ્યાઓ વારંવાર અનુભવાતી હોય તો સમયસર તબીબી સલાહ લેવી જોઈએ. વજન ઘટાડવું, બેઠાડું જીવનશૈલી છોડવી તેમજ નાક અથવા તાળવાના ભાગમાં તકલીફ હોય તો ENT નિષ્ણાતનો સંપર્ક કરવો જરૂરી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે સમયસર સારવાર અને જીવનશૈલીમાં ફેરફારથી આ ગંભીર સમસ્યાથી બચી શકાય છે.

