વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં જીકાસ પોર્ટલના પ્રશ્ને વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે પોલીસને ચકમો આપી વીસીના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ સાડા ત્રણ મહિના ઉપરાંતથી પ્રવેશની પ્રક્રિયા ચાલી હતી. પરંતુ આજ દિન સુધી યુનિવર્સિટીમાં એવા ઘણા ડિપાર્ટમેન્ટની બેઠકો ખાલી પડી છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે જેને આજે પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો છે. પરંતુ,જીકાસના કંકાસના કારણે યુનિવર્સિટીમાં એડમિશન લઈ શક્યા નથી. ત્યારે આ મામલે અગાઉ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી ની હેડ ઓફિસ ખાતે જીકાસનું રજીસ્ટ્રેશન ફરી શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આજદિન સુધી આ રજૂઆતને ધ્યાને લેવામાં નહિ આવતા NSUI દ્વારા યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે વીસીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેથી અગાઉથી જ હેડ ઓફિસ ખાતે પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ત્યારે, વિદ્યાર્થીઓએ ચકમો આપી હેડ ઓફિસ બહાર વીસીના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન હાજર પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક સળગતું પૂતળું ઓલવી વિદ્યાર્થીઓ પાસેથી હટાવી જમા લેવામાં આવ્યું હતું.

