કોસીન્દ્રા ગામ ખાતે આવેલ રાજપૂત સમાજની વાડીમાં સમાજ દ્વારા ભવ્ય ૨૩મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે બાપુ શ્રી ભારતસિંહજી સોલંકીની નિશ્રામાં કુલ ૨૬ નવયુગલોએ વૈદિક વિધિ અને મંત્રોચ્ચાર વચ્ચે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
રાજપૂત સમાજ દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી સતત સમૂહ લગ્નની પરંપરા જાળવી રાખવામાં આવી છે, જે સમાજમાં એકતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. શરૂઆતમાં માત્ર ૪ થી ૬ યુગલોથી શરૂ થયેલ આ પહેલ આજે વધીને ૨૬ થી ૩૦ યુગલો સુધી પહોંચી છે, જે સમાજમાં વધતી જાગૃતિ અને વિશ્વાસ દર્શાવે છે.
આ આયોજન પાછળનો મુખ્ય હેતુ સમાજમાં થતા બિનજરૂરી ખર્ચાઓ અટકાવવા, સાદગીપૂર્ણ લગ્નને પ્રોત્સાહન આપવું અને આર્થિક રીતે નબળા વર્ગોને સહાયરૂપ થવાનો છે. સમૂહ લગ્નથી પરિવારો પરનો આર્થિક બોજ ઘટાડાય છે તેમજ સમાજમાં સામાજિક એકતા મજબૂત બને છે.
આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે લગભગ ૨૫ વર્ષ પહેલાં રાજવાસણા મુકામે યુવાનોની બેઠકમાં સામાજિક એકતા અને ઉન્નતિ માટે લેવાયેલ સંકલ્પ આજે એક વટવૃક્ષ સમાન બની ગયો છે. સમૂહ લગ્નોત્સવ માત્ર આર્થિક બચત પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર સમાજને એક મંચ પર એકત્રિત કરી સામાજિક અને શૈક્ષણિક જાગૃતિનો સંદેશ પણ પ્રસારે છે.

