છેલ્લા ૧ મહિનાથી થાંભલો ઊભો કર્યો છે પણ હજુ સુધી તંત્ર પાસે વાયર જોડવાનો ટાઈમ નથી. કોઈ દુર્ઘટના સર્જાએ પહેલા વીજ વાયરોનું જોડાણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ચુડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ધાંધિયાથી લોકો મુશ્કેલીમાં મુકાયા.
ચુડા તાલુકાના જોબાળા ૬૬ કેવી સબ સ્ટેશનમાં જોબાળા,કરમડ,વેજળકા,વાણિયાવદર,મીણાપુર ગામોને આવરી લેવામાં આવ્યા છે.અને વાડી વિસ્તારોની લાઇટ પણ આ સબ સ્ટેશનમાં આવરી લેવામાં આવી છે. પરંતુ છેલ્લા ૧ મહિનાથી દિવસમાં ૮ થી ૧૦ વાર વીજ પુરવઠો બંધ થઈ જાય છે.વીજકાપની અગાઉ જાણ કર્યા વિના અણધડ રીતે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે.
મેન્ટેનન્સનું બહાનું આગળ ધરી દેવામાં આવે છે. જેને લઈને ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે ચુડા પીજીવીસીએલની પ્રિમોન્સૂન કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જોકે દર ગુરુવારે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેન્ટેનન્સ નું બહાનું આગળ ધરી વીજકાપ મૂકવામાં આવે છે.ઝોબાળા ૬૬ કેવી માં આવતાં એક ગામમાં ફોલ્ટ હોય તો બાકીનાં તમામ ગામોમાં વીજ પુરવઠો બંધ કરી દેતાં અન્ય ગામના લોકોને વીજ પુરવઠા વગર રહેવાનો વારો આવે છે.
આ બાબતે રજૂઆત ઘણી વખત પીજીવીસીએલના અધિકારીઓને કરવામાં આવી છે.પણ આંખ આડા કાન કરવામાં આવે છે.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

