ડભોઇ તાલુકામાં આવેલ ચાંદોદ રેલવે સ્ટેશન નજીકથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક અજાણ્યા આધેડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે.
આ બનાવ મોરિયા-ચાંદોદ રેલવે સ્ટેશન વચ્ચે આવેલી ફૂલવાડી નજીકના રેલવે ટ્રેક પર બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે હાઇ સ્પીડ ટ્રેનની ટક્કરથી આધેડ ફંગોળાયા: કમકમાટીભર્યું મોત પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ તરફ જતી જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અંદાજિત ૬૦ વર્ષીય અજાણ્યા આધેડ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ટ્રેનની જોરદાર ટક્કરને કારણે આધેડ ફંગોળાઈને દૂર પટકાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં આધેડના મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેમજ ડાબો પગ કપાઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસનો કાફલો ઘટનાસ્થળે: ઓળખની કાર્યવાહીમાં મુશ્કેલી
ટ્રેન ડ્રાઈવરે તુરંત જ રેલવે તંત્રને આ દુર્ઘટના અંગે જાણ કરી હતી. મેસેજ મળતાની સાથે જ ચાંદોદ પોલીસ અને રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારના લોકોનો સંપર્ક કરીને મૃતકની ઓળખ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે, રેલવે અકસ્માતની ગંભીરતા એટલી હતી કે, આધેડના મોઢાના ભાગનો લોચો વળી ગયો હોવાથી મૃતકની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે.ઓળખ માટે ગતિવિધિ તેજ ડભોઇ તાલુકાની ચાંદોદ પોલીસે અજાણ્યા મૃતક આધેડના મૃતદેહને ડભોઇ સરકારી દવાખાને પી.એમ. (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડ્યો છે. પોલીસે હાલ આ અજાણ્યા મૃતક આધેડની ઓળખ માટેની ગતિવિધિઓ તેજ કરી દીધી છે. આસપાસના પોલીસ સ્ટેશનો અને ગામોમાં મૃતદેહના વર્ણન અંગે જાણ કરીને પરિવારજનો સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

