સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ૧૧૫મા સ્થાપના દિવસની ઉજવણી
પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે ૧૧૫ વૃક્ષોનું વાવેતર
વડોદરા: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ૧૧૫મા સ્થાપના દિવસના શુભ અવસરે પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપતા વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બેંક દ્વારા ૧૧૫ વૃક્ષો વાવવાના સંકલ્પને સાકાર કરી સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બેંકના ડિરેક્ટરો તથા પ્રતિષ્ઠિત મહેમાનો આદરણીય શ્રી પ્રદીપ પ્રાણલાલ ખીમાણી, આદરણીય શ્રી બાલકૃષ્ણ શુક્લા, આદરણીય શ્રી સલિલ ભટ્ટ અને આદરણીય શ્રીમતી અમી ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવતાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરી તેને જાળવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણની સુરક્ષા માટે આવા પ્રયાસો સતત ચાલુ રાખવા સમયની જરૂર છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરાયેલી આ પર્યાવરણલક્ષી પહેલને સમાજના વિવિધ વર્ગોમાંથી પ્રશંસા મળી રહી છે. બેંકના ૧૧૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સામાજિક જવાબદારી સાથે ઉજવણી કરાઈ હોવાની લાગણી લોકોએ વ્યક્ત કરી હતી.

