સાવલી તાલુકાના લામડાંપુરા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય વિરુદ્ધ વિવિધ આક્ષેપોને લઈને ગ્રામજનોએ ભારે હોબાળો મચાવી શાળાના મુખ્ય દ્વારે તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, લામડાંપુરા ગામના ગ્રામજનોએ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી આચાર્યની કામગીરી અંગે અનેકવાર શિક્ષણ વિભાગને રજૂઆત કરી હતી. તેમ છતાં લાંબા સમયથી કોઈ યોગ્ય નિરાકરણ ન આવતાં ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
આક્રોશિત ગ્રામજનો મોટી સંખ્યામાં પ્રાથમિક શાળા ખાતે એકત્રિત થયા હતા અને શાળાના મુખ્ય દ્વારને તાળું મારી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ન પડે તે માટે તેમને ગ્રામ પંચાયતના પરિસરમાં બેસાડી શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગ્રામજનોએ આચાર્ય સામે વિવિધ આક્ષેપો સાથે 112 પર ફોન કરી જાણ કરી તેમજ શિક્ષણ વિભાગને પણ ટેલિફોનિક જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને પગલે ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને હવે શિક્ષણ વિભાગ દ્વારા શું પગલાં લેવાશે તે અંગે ગ્રામજનોએ રાહ જોવાની સ્થિતિ છે.

