છોટાઉદેપુર જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક માર્ગો અને પુલો ક્ષતિગ્રસ્ત બન્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો પ્રમાણે કલેકટર ગાર્ગી જૈનના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં માર્ગ દૂરસ્તીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
નોંધનીય છે કે, બોડેલી-મોડાસર ચોકડી રોડ પર આવેલા ઓરસંગ પુલ પરથી ભારે વાહનો પર સુરક્ષા તથા સાવચેતીના ભાગરૂપે જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા પ્રતિબંધ ફરમાવી વૈકલ્પિક માર્ગોના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે.
આ સ્થિતિને ધ્યાને લઈને, કલેકટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ અધિક નિવાસી કલેકટર શૈલેષ ગોકલાણી દ્વારા વડોદરા એસ ટી વિભાગીય નિયામક વિકલ્પ શર્મા સાથે સંકલન અને સહયોગ થકી વિદ્યાર્થીઓના અવરજવર માટે વિશેષ મીની એસ.ટી. બસની વ્યવસ્થા કરી છે.
આ મિની બસ શાળાના સમયગાળામાં બોડેલીથી મોડાસર ચોકડી અને પાછા મોડાસર ચોકડીથી બોડેલી સુધી ચલાવવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા વરસાદી વિરામ બાદ ક્ષતિગ્રસ્ત માર્ગ મરામતની કામગીરી યોજના ધોરણે કરવામાં આવી રહી છે, ભારે વાહનો પર પ્રતિબંધ હોવાથી બાળકો માટે કરવામાં આવેલી મીની બસની વ્યવસ્થા વહીવટી તંત્રની સક્રિય કામગીરીને સુનિશ્ચિત કરી રહી છે.

