ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં પડાલથી મેનપુરાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર ડામરનું નામોનિશાન મટી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને ઠેર-ઠેર મોટા ખાડાઓ પડતા સ્થાનિકો તથા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માર્ગ પર આવેલા ખાડાઓને કારણે ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે અકસ્માતનો ભય વધ્યો છે. અનેક વખત વાહનચાલકો સ્લિપ ખાઈ જતા નાની-મોટી ઇજાઓના બનાવો પણ બનતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. રાત્રિના સમયે પ્રકાશની અછત અને ખાડાઓના કારણે આ માર્ગ પરથી પસાર થવું વધુ જોખમી બની જાય છે.
સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે તેઓ લાંબા સમયથી આ રોડના સમારકામની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર તરફથી માત્ર આશ્વાસન જ આપવામાં આવી રહ્યું છે. હાલ રોડની પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ક્યાં ડામર હતું તે ઓળખવું પણ મુશ્કેલ બની ગયું છે.
ગ્રામજનોની એકમાત્ર માંગ છે કે પડાલ અને મેનપુરા વચ્ચેના આ મુખ્ય માર્ગનું તાત્કાલિક સમારકામ કરી નવો ડામર રોડ બનાવવામાં આવે, જેથી વાહનવ્યવહાર ફરીથી સુરક્ષિત અને સુગમ બની શકે. સાથે જ તેમણે ચેતવણી આપી છે કે જો આવનાર સમયમાં માર્ગની કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.

