ગળતેશ્વર તાલુકોના વાળીનાથ ગામે પરમ પૂજ્ય રામદેવપીર ભગવાનના નવીન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો. આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગામો સહિત દૂર-દૂરથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ‘જય બાબારી’ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
મહોત્સવની શરૂઆત વહેલી સવારથી જ વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. પૂજન-અર્ચન, પવિત્ર કુંભ સ્થાપન અને હોમ-હવન બાદ મંદિરના શિખર પર ધજા રોહણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંદિર સમિતિ દ્વારા ભક્તો માટે મહાપ્રસાદ (ભંડારા)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો.
કાર્યક્રમમાં સ્થાનિક સામાજિક આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ તેમજ સંત-મહંતોએ ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. ગ્રામજનોએ એકતા સાથે કાર્ય કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

