અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ તરીકે ઓળખાતા પૂર્વ નાયાબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની આજે પૂણ્યતિથી નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
શહેરના ડેરીડેન સર્કલ ખાતે સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્રિત થયા હતા. આ દરમિયાન સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના અવિસ્મરણીય યોગદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશના અનેક રજવાડાઓને એકત્રિત કરી ભારતને મજબૂત, એકતાબદ્ધ અને અખંડ રાષ્ટ્ર બનાવવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેમની દૃઢ ઈચ્છાશક્તિ, અડગ નેતૃત્વ અને દેશભક્તિ આજની પેઢી માટે સતત પ્રેરણાસ્રોત બની રહેશે.
આ સાથે કોંગ્રેસના આગેવાનો દ્વારા વડોદરા મહાનગરપાલિકા સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સરદાર પટેલની પ્રતિમાની યોગ્ય જાળવણી, સ્વચ્છતા અને સંરક્ષણ બાબતે પાલિકાની બેદરકારી હોવાનો આક્ષેપ કરી તંત્ર પર પ્રહાર કરવામાં આવ્યા હતા.
શહેર કોંગ્રેસે સરદાર પટેલના વિચારો અને આદર્શોને જીવનમાં ઉતારવાની અપીલ સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

