ડભોઈ-શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલના રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી: કલાકો સુધી એક કિલોમીટર લાંબો ટ્રાફિકજામ
ડભોઈથી રાજપીપળા તરફના વ્યસ્ત માર્ગ પર ડભોઈ-સેગવા વચ્ચે ચાલી રહેલા ડબલ રોડની કામગીરી અંતર્ગત શિનોર ચોકડી નજીક આવેલી નર્મદા કેનાલ પરના રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતનું સાઈન બોર્ડ કે ટ્રાફિક સૂચના બોર્ડ લગાવ્યા વિના અચાનક રોડ પર કામગીરી શરૂ કરી દેવાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રાફિક વ્યવસ્થાના અભાવે વાહનચાલકો પરેશાન
ડભોઈથી સેગવા સુધીના ડબલ રોડનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે નર્મદા કેનાલ નાળાની કામગીરી ચાલી રહી છે. જોકે, આજરોજ કોન્ટ્રાક્ટરે રોડ પર કામગીરી શરૂ કરતાં, તેના યોગ્ય આયોજન અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવે એક કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ડભોઈ-રાજપીપળા માર્ગ પર અવર-જવર કરતા અનેક લોકો આ ટ્રાફિકમાં ફસાયા હતા અને તેમને કલાકો સુધી રાહ જોવી પડી હતી.
કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે લોકોમાં રોષ
સૌથી ગંભીર બાબત એ છે કે રોડ પર કામગીરી ચાલુ હોવા છતાં, કોન્ટ્રાક્ટર દ્વારા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગની જાણ કરવા કે ટ્રાફિક નિયંત્રણ માટે કોઈપણ જાતનું સૂચના બોર્ડ કે બેરિકેડ્સ પણ મૂકવામાં આવ્યા નહોતા. કોન્ટ્રાક્ટરની આ બેદરકારીના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિકમાં ફસાયેલા લોકોમાં કોન્ટ્રાક્ટર અને તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો.ડભોઈથી રાજપીપલા તરફના આ મહત્વના માર્ગ પર ચાલી રહેલી આ રોડની કામગીરી ક્યારે પૂર્ણ થશે, તે હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાહનચાલકો અને સ્થાનિકોની માંગ છે કે કોન્ટ્રાક્ટર તાત્કાલિક ધોરણે ટ્રાફિક વ્યવસ્થાપન માટે યોગ્ય પગલાં ભરે અને કામગીરી ઝડપથી પૂર્ણ કરે.

